ઘણા સમયથી મનમાં એક વેદના ઘૂંટાયા કરતી હતી. તેને કયા સ્વરૂપે વ્યકત કરું એ સમજમાં આવતું નહોતું. ખૂબ મહેનત કરી, ખૂબ મૂંઝાયો અને અંતે એ મૂંઝવણને પ્રકટ કરવા પ્રયત્ન કર્યો, અને એના ફળસ્વરૂપે સર્જાયું ગીતિ-દીર્ઘ કાવ્ય ‘વિધવા'. આ કાવ્યમાં એક સ્ત્રીના જીવનના અમુક પ્રસંગો કે ખંડો લીધા છે અને આ કાવ્યની બધી રચનાઓ ગીતના ઢાળમાં છે. રાગ તરીકે જેની જેની રચનાઓનો ઉલ્લેખ કર્યો છે તેઓની ક્ષમાપના ઈચ્છું છું.
આ કાવ્યમાં કરૂણતા વધારે છે, આનંદનું તત્વ ઓછું છે. આ કાવ્ય મેં મારી કલ્પનાથી રચ્યું છે. એવી કોઈ સત્ય ઘટના બની હોય તો મને ખબર નથી. સ્ત્રીના જીવનમાં ડગલે ને પગલે દુઃખ આવતું રહે છે. તે એક વખત વિધવા બને છે, સમાજ અને સસરાની જાગૃતિથી ફરીથી તેનાં લગ્ન થાય છે, તેમાં એક પુત્રરત્ન જન્મે છે, પતિ વિદેશ જાય છે, પુત્રનું અવસાન થાય છે, પતિ વિદેશથી આવે છે, પતિનું પણ અવસાન થાય છે અને બીજી વખત તે સ્ત્રી વિધવા બને છે. આવી રીતે તે સ્ત્રીના જીવનમાં આઘાત -પ્રત્યાઘાત આવતા ગયા. કઈ સ્ત્રી આવી રીતે બે-બે વખતનું વૈધવ્ય સહન કરી શકે! પરિણામ જે આવવાનું હોય તે જ આવ્યું. તે પણ બંને પતિ અને પુત્રના રસ્તે ચાલી નીકળે છે. આમ, એક કોડભરી સ્ત્રીને કુદરતની ક્રૂર થપાટથી જીવન દરમિયાન દુઃખ જ મળ્યું.
વાત તો સીધી છે. પરંતુ બધી જ રચનાઓને ગાઈ શકાય એટલે જુદાં જુદાં જાણીતાં ગીતોના ઢાળમાં બનાવી છે. મનમાં મૂંઝાયેલી વેદનાને બહાર નીકળવું હતું અને આ સ્વરૂપે નીકળી - અઢી હજાર પંકિતઓના ઢગલા સ્વરૂપે - જે થોડું ટૂંકાવીને ૧૯૦૦ જેટલી પંકિતઓમાં આપની સમક્ષ મૂકું છું....... ‘વિધવા' ગીતિ-દીર્ઘકાવ્ય સ્વરૂપે.
કંઈ ખામી રહી ગઈ હોય તો ક્ષમા-યાચના સાથે...
- ‘સાગર' રામોલિયા